Indian Captain Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં એકજૂથ પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ છે.
ઈંગ્લેન્ડ સામેની જીત બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોહિત શર્મા દરવાજા પાસે ખુરશી પર બેઠો હતો. આ દરમિયાન તેણે એક હાથથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો અને તેની આંખોમાં આંસુ હતા. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ હોવાથી તે કદાચ ભાવુક થઈ ગયો હતો. ભારતને ટ્રોફી જીતવાની વધુ એક તક મળી છે. જતી વખતે વિરાટ કોહલી તેના પર હાથ મૂકે છે અને પછી અંદર જાય છે. ગત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હરાવી હતી. હવે ભારતે એ હારનો બદલો લઈ લીધો છે.