ગુજરાતની 15 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 393 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ભાજપ હવે પૂર્ણપણે ‘ચૂંટણી મોડ’માં આવી ગયું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પાર્ટીની નવી મીડિયા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડના સાંસદ ધવલ પટેલ અને સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાને પ્રવક્તા તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, ઝુબીન આશરા અને કલ્પ પટેલને રાજ્ય મીડિયા સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરીને ભાજપે પ્રચારના મોરચે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.
હાઈપ્રોફાઈલ ચૂંટણી સમિતિનું ગઠન
મીડિયા ટીમની સાથે જ ભાજપે પોતાની શક્તિશાળી રાજ્ય ચૂંટણી સમિતિ (સંસદીય બોર્ડ) ની પણ જાહેરાત કરી દીધી છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મંત્રી રત્નાકર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સી.આર. પાટીલ, પુરુષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી જેવા નેતાઓને ખાસ આમંત્રિત સભ્યો તરીકે સ્થાન આપીને ભાજપે અનુભવ અને યુવા જોશનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે, જેઓ આગામી ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પ્રવક્તા કોણ બન્યા?
| ક્રમાંક | નામ | જીલ્લા/મહાનગર |
| 1 | ધવલ પટેલ, સંસદ સભ્ય (વલસાડ) | વલસાડ |
| 2 | અશ્વિનભાઈ બેંકર | કર્ણાવતી/અમદાવાદ |
| 3 | જયરાજસિંહ પરમાર | મહેસાણા |
| 4 | ઘનશ્યામ ગઢવી | અમદાવાદ જિલ્લો |
| 5 | મનજીભાઈ આહીર | કચ્છ |
| 6 | હેમાલી બોઘાવાલા | સુરત શહેર |
| 7 | શ્રેતા બ્રહ્મભટ્ટ | કર્ણાવતી |
પીએમ મોદીનો કાર્યક્રમ અને આચારસંહિતાની શક્યતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું શિડ્યુલ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. તે પહેલાં ભાજપે રણનીતિના ભાગરૂપે 31 માર્ચના રોજ નવા રચાયેલા વાવ-થ્રડ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. માનવામાં આવે છે કે પીએમ મોદીના આ કાર્યક્રમ બાદ રાજ્યમાં ગમે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ થઈ શકે છે. પક્ષના સૂત્રો મુજબ એપ્રિલના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી પરિણામો જાહેર કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

