ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત પોલીસે મધ્યરાત્રિના એક મોટા ઓપરેશન દરમિયાન, અમદાવાદ અને સુરત શહેરોમાંથી માત્ર થોડા કલાકોમાં 500 થી વધુ વિદેશીઓની અટકાયત કરી.
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે આજે મોટી પોલીસ કાર્યવાહી જોવા મળી. ગુજરાત પોલીસે શુક્રવારે મધ્યરાત્રિએ એક મોટા ઓપરેશન દરમિયાન, અમદાવાદ અને સુરત શહેરોમાંથી માત્ર થોડા કલાકોમાં 500 થી વધુ વિદેશીઓની અટકાયત કરી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજયને જણાવ્યું હતું કે શનિવારે સવારે 3:00 વાગ્યાથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્સને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 400 થી વધુ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે.
ઓપરેશન બાંગ્લાદેશીની કાર્યવાહી રાત્રના 12 વાગ્યાથી શરૂ કરાઈ હતી, જે સવારના 6 વાગ્યા સુધી ચાલી હતી. સુરત પોલીસની 6 ટીમમાં 100 જેટલા પોલીસકર્મીઓ હતા. બે ડીસીપી, ચાર એસીપી અને 10 જેટલા પીઆઇ સામેલ હતાં. હાલમાં 120થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. પોલીસ તમામને હેડ ક્વાટર લઈને આવી છે. હાલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરતમાં છે. ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે કોઇપણ પ્રકારના વિઝા લઇને પાકિસ્તાનીઓ આવ્યા હશે તે તમામ પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમયમર્યાદામાં દેશ છોડવો પડશે. એમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં.
હાલમાં તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરફિકેશન કરવામાં આવી રહ્યાં છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાંક લોકોએ તો ભારતના આધારકાર્ડ પણ બનાવી લીધા છે.

