રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 10 માં ત્રણ ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. શિક્ષણ બોર્ડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ના વિષય માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકૌશલ્યનો સર્વાંગી વિકાસ કરવાનો અને નવી શિક્ષણ નીતિનું રાજ્યમાં અસરકારક અમલીકરણ કરવાનો છે.
માધ્યમ પ્રમાણે પ્રથમ અને દ્વિતીય ભાષાની પસંદગીનું માળખું
નવા વિષય માળખા મુજબ શાળા જે માધ્યમની હશે, તે ભાષા વિદ્યાર્થી માટે ‘પ્રથમ ભાષા’ તરીકે રહેશે. એટલે કે ગુજરાતી માધ્યમની શાળામાં ગુજરાતી પ્રથમ ભાષા રહેશે, જ્યારે અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે ભણાવવામાં આવશે. આ સાથે, શાળાના માધ્યમથી ઉલટી ભાષા એટલે કે અંગ્રેજી માધ્યમ માટે ગુજરાતી અને ગુજરાતી માધ્યમ માટે અંગ્રેજી ‘દ્વિતીય ભાષા’ તરીકે ભણાવવામાં આવશે. આમ, વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ભાષા તરીકે નિર્ધારિત ભાષાઓનો અભ્યાસ કરવો જ પડશે.
ત્રીજી ભાષા તરીકે આ વિષયોમાંથી પસંદગી કરવી રહેશે અનિવાર્ય
શિક્ષણ વિભાગના નવા નિયમો મુજબ ત્રીજી ભાષાનો અભ્યાસ પણ હવે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષા તરીકે ઉપલબ્ધ વિકલ્પો જેવા કે હિન્દી, સંસ્કૃત, અરબી, ફારસી, સિંધી અથવા ઉર્દૂમાંથી કોઈ એક ભાષા પસંદ કરીને તેનો અભ્યાસ કરવો પડશે. અગાઉ વિદ્યાર્થીઓને ત્રીજી ભાષાના વિકલ્પ તરીકે અન્ય વિષયો રાખવાની પણ છૂટ મળતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ ત્રીજી ભાષાનો અભ્યાસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણપણે અનિવાર્ય કરી દેવાયો છે.
જૂની વ્યવસ્થામાં મોટો બદલાવ: ત્રીજી ભાષાના સ્થાનેથી વોકેશનલ વિષય હટાવાયો
અત્યાર સુધીના માળખામાં વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષાના વૈકલ્પિક સ્થાને વોકેશનલ (વ્યવસાયલક્ષી) વિષય રાખવાની જોગવાઈ ઉપલબ્ધ હતી. જોકે, શિક્ષણ બોર્ડ દ્વારા નવા વિષય માળખામાં આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રીજી ભાષાના બદલામાં વોકેશનલ વિષય રાખવાનો વિકલ્પ હટાવી દેવામાં આવ્યો છે. તેના સ્થાને વોકેશનલ વિષયને અલગ રીતે ગોઠવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ ભાષા શિક્ષણ સાથે કૌશલ્ય આધારિત અભ્યાસનો લાભ પણ મેળવી શકે.
હવે વોકેશનલ વિષયને ‘આઠમા વિષય’ તરીકે અલગ સ્થાન મળશે
શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, હવેથી વોકેશનલ વિષયને મુખ્ય માળખામાંથી હટાવીને ‘આઠમા વિષય’ તરીકે વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીઓ હવે ત્રીજી ભાષાના ભોગે વોકેશનલ વિષય પસંદ કરી શકશે નહીં, પરંતુ જો તેઓ ઈચ્છે તો તેને એક વધારાના અલગ વિષય તરીકે ચોક્કસ ભણી શકશે. આ નવું વિષય માળખું રાજ્યની તમામ શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ લાગુ કરી દેવામાં આવ્યું હોવાથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ હવે આ નવા નિયમો અનુસાર જ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે

