પહેલી મે 2025ના ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરામાં યોજાશે. મશાલ પીટી, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટ્રાફિક વ્યવસ્થા માટે એસટી બસ સ્ટેન્ડ ખસેડાશે.
ગુજરાત સ્થાપના દિનની 65મી વર્ષગાંઠની રાજ્ય કક્ષાની ઉજવણી આ વર્ષે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાવા જઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 30 એપ્રિલના રોજ મશાલ પીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 1 મેના રોજ વિવિધ પ્રદર્શનો, ઈ-લોકાર્પણ, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરના અલગ-અલગ સ્થળોએ યોજાશે.
આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના બે કોન્વોય, તેમજ મંત્રીઓ અને સચિવોના પાયલોટીંગ ગાઈડ કાર સાથેના વાહનો ગોધરાના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં જનમેદનીની હાજરીને કારણે શહેરના માર્ગો ટ્રાફિકથી વ્યસ્ત રહેવાની શક્યતા છે.
ગોધરાના મધ્યમાં આવેલું એસટી બસ સ્ટેન્ડ ટર્મિનલ, જ્યાં દરરોજ જિલ્લા અને બહારના જિલ્લાઓની લગભગ 1200 બસોની અવરજવર થાય છે, તે ટ્રાફિક વ્યવસ્થાને અસર કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, અધિક નિવાસી કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં જણાવાયું છે કે, 29 એપ્રિલની રાત્રે 12:00 વાગ્યાથી 1 મેની રાત્રે 12:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન લાલબાગ એસટી બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે વિભાગીય યંત્રાલય સામે આવેલ એસટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવશે.
આ પગલાંથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને ઉવણી દરમિયાન નાગરિકોને કોઈ અગવડ ન પડે તેની ખાતરી કરવામાં આવશે. ગોધરા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ આ માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જરાત સ્થાપના દિવસની આ ઉજવણી જ્યની સાંસ્કૃતિક વિરાસત અને વિકાસની ગાથાને ઉજાગર કરશે, અને ગોધરા આ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનશે.

