પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર રવિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અને પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. દરમિયાન પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને સ્થાનિક ટીવી ચેનલ જિયોને જણાવ્યું કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે હુમલો ચીની નાગરિકો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી એકને ઈજા થઈ હતી. પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો છે, જેમાંથી મોટા ભાગના બેઇજિંગના અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં કામ કરી રહ્યા છે, જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની બેઇજિંગ સાથે જોડે છે.

