પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ચક્રવાત ‘અસના’નો ખતરો છે. ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાં, શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાય અને ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. સંભવિત ‘અસના’ વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના પગલે આ ત્રણ તાલુકાઓમાં કાચાં મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને લોકોને પણ આ પ્રકારના રહેઠાણમાં વસવાટ કરતા લોકોને આજે બપોરે 4 વાગ્યા સુધી આશરો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

