સંસદના ચાલુ સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભાના સભ્ય રાહુલ ગાંધીએ એક પુસ્તક સાથે સદનમાં હાજરી આપતાં રાજકીય ગરમાગર્મી સર્જાઈ છે. રાહુલ ગાંધીએ પૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સ્મૃતિગ્રંથની નકલ સંસદમાં રજૂ કરી, જેને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તીવ્ર વાકયુદ્ધ શરૂ થયું.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સરકાર દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે આ પુસ્તક અસ્તિત્વમાં નથી, પરંતુ તેઓએ પોતે જ તેની નકલ રજૂ કરીને સરકારની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કર્યા. તેમના જણાવ્યા મુજબ, પુસ્તકમાં ભારત-ચીન સરહદી તણાવ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને લઈ મહત્વપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઘટનાના પગલે સત્તાપક્ષે કડક વિરોધ નોંધાવ્યો અને સંસદીય નિયમોનો હવાલો આપીને અપ્રકાશિત પુસ્તકમાંથી હવાલા આપવાનો વિરોધ કર્યો. પરિણામે લોકસભામાં અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી અને સત્ર દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો.
આ મુદ્દે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને બંને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રત્યારોપ કરતા નજરે પડ્યા છે. સંસદની કાર્યવાહી પર આ ઘટનાનો સીધો અસર પડતાં મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ ખોરવાઈ હોવાનું જાણવા મળે છે.
— સીમાં તિવારી

