દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં ભીલ સમાજમાં આમલી અગિયારસનો વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જોવા મળે છે. હોળી પહેલા આવતી ફાગણ સુદ અગિયારસના દિવસે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં કરવામાં આવે છે.
ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા
પ્રાચીન સમયમાં પાંડવો આ સ્થળે આવ્યા હોવાની પણ વાયકા
સ્થાનિક ભીલ સમાજમાં એવી પણ માન્યતા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં પાંડવો આ સ્થળે આવ્યા હતા. અહીં પાંચ કુંડ આવેલા હોવાનું કહેવાય છે, જેના કારણે આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. સમાજના લોકોનો વિશ્વાસ છે કે અહીં દેવોનો વાસ છે અને ભીમકુંડ ખાતે અસ્થિ વિસર્જન કરવાથી મૃત આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે.
અસ્થિ વિસર્જન માટે આમલી અગિયારસના દિવસે વહેલી સવારથી જ રામડુંગરા સ્થિત ભીમકુંડ ખાતે ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ઢોલ-નગારા વગાડતા અને પોતાની પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર તેઓ સ્વજનોની અસ્થિઓ પધરાવી શ્રદ્ધાંજલિ અર્પે છે.

