સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલી કાર બ્લાસ્ટની ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

Photo Credit: X
આ ઉપરાંત બ્લાસ્ટની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાંના પણ અહેવાલ છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે બ્લાસ્ટના સમાચાર મળતાં જ આગ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ અને સુરક્ષાકર્મીઓનો કાફલો પહોંચી ગયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની સંખ્યાબંધ ગાડીઓને જબરદસ્ત નુકસાન થયેલું દેખાઈ રહ્યું છે.

blast
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિસ્ફોટ અંગે કહ્યું કે, “સાત વાગ્યા નજીક લાલ કિલ્લા પાસે સુભાષમાર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે i-20 હ્યુન્ડાઈ ગાડીમાં બ્લાસ્ટ થયો છે. દસ મિનિટમાં જ દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમો સ્પૉટ પર પહોંચી ગઈ હતી.”

delhi
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે.
દિલ્હીના પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક રેડ લાઇટ પર સાંજે 6.52 વાગ્યે એક સ્લો મૂવિંગ વિહિકલ રોકાયું હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. આ ગાડીમાં કેટલાક મુસાફરો પણ હતા.
સમાચાર એજન્સી પીટીઆઇનું કહેવું છે કે વિસ્તારની ઘેરાબંદી કરી દેવાઈ છે. તેમજ સમચાર એજન્સી એએનઆઇ પ્રમાણે કેટલાક ઈજાગ્રસ્તોને એલએનજેપી હૉસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાસ્થળની પાસે ઍમ્બુલન્સોની લાંબી કતાર પણ જોવા મળી હતી.
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે તેમને કૉલ કરીને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર એકની નજીક કારમાં બ્લાસ્ટ થયાની માહિતી મળી હતી.
ઘટના બાદ ઘટનાસ્થળ સુરક્ષા એજન્સીઓના કર્મીઓ પહોંચી ગયા હતા. કેટલાક સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળ કૉર્ડન કરી દીધું હતું તો કેટલાક સુરક્ષાકર્મી ડૉગ સ્ક્વૉડ સાથે આસપાસ વધુ તપાસ કરતા જોવા મળ્યા હતા
ઘટનાને નજરે જોનારા એક પ્રત્યક્ષદર્શી રાજધર પાંડેએ કહ્યું કે તેમણે આગની જ્વાળા જોઈ. ધડાકો એટલો જોરદાર હતો કે ‘ઇમારતની બારીઓ ધ્રૂજી ઊઠી.’
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એલએનજેપી હૉસ્પિટલ ખાતે ખસેડાયા છે

