Gir Safari Closed For 4 Months
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો આ નિર્ણય વન્યજીવોની સુરક્ષા, કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
ભારે વરસાદ અને કાચા રસ્તાઓ ધોવાઈ જવાનું જોખમ
વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોવાથી સફારી માર્ગો પર તેની સીધી અસર થાય છે. ખાસ કરીને જંગલના કાચા રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઈ જવાની સ્થિતિ સર્જાય છે, જેના કારણે વાહનોની અવરજવર અત્યંત જોખમી બની શકે છે. આ પરિસ્થિતિમાં પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સફારી સેવાઓને અસ્થાયી રીતે બંધ રાખવામાં આવે છે.
જંગલની નદીઓમાં ઘોડાપૂર આવવાની શક્યતા
સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં વહેતી હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ નદીઓમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર આવવાની સંભાવના રહે છે. નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં જંગલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં મોટું જોખમ ઊભું થાય છે. આવી સ્થિતિમાં સફારી માટે જતા વાહનો અને પ્રવાસીઓની સુરક્ષા જાળવવી મુશ્કેલ બની શકે છે, તેથી વન વિભાગ દ્વારા પૂર્વ સાવચેતીના ભાગરૂપે સફારી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન્યજીવોના પ્રજનનકાળ માટે અત્યંત મહત્વપૂર્ણ
ચોમાસાની ઋતુ પ્રવાસીઓની સલામતીની સાથે વન્યજીવો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જંગલમાં કુદરતી પ્રક્રિયાઓ સક્રિય રહે છે અને સિંહ સહિતના અનેક પ્રાણીઓ માટે પ્રજનન તેમજ વસવાટનો આ ખૂબ જ મહત્વનો સમય હોય છે. વન્યજીવોને આ દિવસોમાં કોઈપણ પ્રકારની માનવીય ખલેલ ન પહોંચે અને જંગલનું કુદરતી સંતુલન જળવાઈ રહે તે માટે પણ સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

