ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ત્રણ રાજ્યો માટે નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.
નીતિન નબીને ગઈકાલે પોતાની નવી ટીમની જાહેરાત કરી
અગાઉ, ભાજપ પ્રમુખ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી. તેમાં કેટલાક જૂના ચહેરાઓનું પુનરાગમન થયું અને પાર્ટીની વિવિધ પાંખોમાં અનેક ફેરફારો થયા. આ નિમણૂકો ત્યારે થઈ છે જ્યારે ભાજપ અનેક રાજ્યોમાં ચૂંટણીઓની તૈયારી કરી રહ્યું છે અને વિવિધ રાજ્યો અને સામાજિક જૂથોમાં તેના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ મોટા ફેરફારોમાં અમિત માલવિયાને પાર્ટીના આઈટી સેલના વડા તરીકે અને તેજસ્વી સૂર્યાને ભાજપની યુવા પાંખના પ્રમુખ તરીકે દૂર કરવાનો સમાવેશ થાય છે. દીપક મ્હસ્કેને આઈટી અને સોશિયલ મીડિયા પાંખનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે હેમાંગ જોશી ભારતીય જનતા યુવા મોરચા (BJYM)નો હવાલો સંભાળશે. ભાજપે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ મુખ્ય ભૂમિકામાં પાછા લાવ્યા છે. ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પણ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનાત્મક માળખામાં પાછા ફર્યા છે.
વિનોદ તાવડે કોણ છે?
વિનોદ તાવડે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા છે. ભાજપ પ્રમુખ નીતિન નવીને ગઈકાલે તેમની નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા. તાવડે પાસે વ્યાપક સંગઠનાત્મક અનુભવ છે. તેમણે અગાઉ આ વર્ષે કેરળની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રભારી તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, ભાજપે કેરળ વિધાનસભામાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તાવડેને 2022 માં બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ, ભાજપે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું.
ડૉ.સતીશ પૂનિયા કોણ છે
ડૉ. સતીશ પૂનિયા ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક અનુભવી અને મજબૂત નેતા છે. તેઓ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે, સાથે જ રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંગઠનમાં તેમની મજબૂત પકડને ધ્યાનમાં રાખીને, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમને હરિયાણાના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તેમને હરિયાણાના પ્રદેશ પ્રભારીની જવાબદારી સોંપાઈ હતી. તેમની કુશળ રણનીતિ અને નેતૃત્વ હેઠળ જ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત સત્તા મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. જૂન 2026માં તેમની રાજકીય સફરમાં વધુ એક સફળતા ઉમેરાઈ જ્યારે તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. હવે પાર્ટીએ તેમના અનુભવનો લાભ લેવા માટે તેમને પંજાબ રાજ્યના ભાજપ પ્રભારી તરીકેની નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
તરુણ ચુગ કોણ છે
તરુણ ચુગ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ છે. મૂળ અમૃતસર (પંજાબ)ના વતની એવા તરુણ ચુગ લાંબા સમયથી પાર્ટીના સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય અને વફાદાર કાર્યકર તરીકે ઉભરી આવ્યા છે. પાર્ટીએ તેમના પર હંમેશા મોટા રાજ્યોની જવાબદારી સોંપીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ તેલંગાણા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા મહત્વના વિસ્તારોના પ્રભારી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી ચૂક્યા છે. નવેમ્બર 2020માં તેમને તેલંગાણાની સાથે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો પ્રભારી પદભાર સોંપવામાં આવ્યો હતો, અને 2024માં પણ તેમણે આ વિસ્તારોમાં પ્રભારી તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખી હતી. સંગઠનને મજબૂત કરવાનો તેમનો આ બહોળો અનુભવ ધ્યાને રાખીને, હવે ભાજપ હાઇકમાન્ડ દ્વારા તેમને ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ત્રણેય રાજ્યમાં આગામી વર્ષ 2027 માં યોજાશે વિધાનસભા ચૂંટણી
ઉત્તર પ્રદેશ (UP)
ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકો માટે ફેબ્રુઆરી-માર્ચ 2027માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. વર્તમાન સમયમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ કરી રહ્યા છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપીમાં અપેક્ષા કરતા ઓછી બેઠકો મળતા મોટો રાજકીય ઝટકો લાગ્યો હતો, જ્યારે અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટી રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. આ સંજોગોમાં, 2027ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે અત્યંત પડકારજનક બની રહેશે, જ્યારે વિપક્ષી ગઠબંધન સત્તામાં વાપસી કરવા માટે પૂર્ણ જોર લગાવશે.
પંજાબ
પંજાબ વિધાનસભાની કુલ 117 બેઠકો માટે ફેબ્રુઆરી 2027માં ચૂંટણી યોજાઈ શકે છે. હાલમાં રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર છે અને ભગવંત માન મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 117માંથી 92 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. 2027ની ચૂંટણીમાં પોતાની સત્તા જાળવી રાખવી AAP માટે મહત્વનો લક્ષ્યાંક હશે, જ્યારે કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળ જેવા પરંપરાગત પક્ષો પંજાબમાં ફરી પોતાનો આધાર મજબૂત કરવા માટે આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.
ગુજરાત
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે વર્ષ 2027ના ડિસેમ્બર મહિના સુધીમાં ચૂંટણી યોજવાની ગણતરી છે. હાલમાં રાજ્યમાં ભાજપની સરકાર કાર્યરત છે અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક દેખાવ કરતા 182માંથી 156 બેઠકો જીતીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો. પોતાના ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 2027માં પણ આ જંગી વિજયી કૂચ જાળવી રાખવા પ્રયાસ કરશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ભાજપના આ મજબૂત કિલ્લામાં ગાબડું પાડવા માટે નવી વ્યૂહરચના સાથે ચૂંટણી જંગમાં ઉતરશે..

