ઉત્તર ગુજરાતથી મુંબઈને જોડતી નવી ટ્રેન શરૂ કરવા માટે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીને કર્યો સવાલ જેમાં આગામી સમય માં અનેક નવી રેલવે ટ્રેન શરૂ કરવાનું આયોજન
ઉત્તર ગુજરાતને આગામી સમયમાં મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેનની ભેટ મળી શકે છે. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે આ મામલે સંસદમાં સવાલ પૂછ્યો હતો.મહેસાણા સંસદના સવાલના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત અને અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ ઉત્તર ગુજરાતને મુંબઈ અને સુરતને જોડતી અનેક ટ્રેનની ભેટ મળવાનો જવાબ આપ્યો હતો.
આ તબક્કે કેન્દ્રીય રેલ્વે મંત્રીએ પણ જણાવ્યું કે વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોરનું કામ હાલ અંતિમ તબક્કામાં છે અને કોરીડોરને કારણે અનેક નવી તકો ઊભી થઈ છે. મહત્વપૂર્ણ છે કે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિકાસ માટે સતત ચિંતિત છે.અને તેમના દ્વારા ઉત્તર ગુજરાતના નવી પરિવહન સેવાઓ પ્રાપ્ત થાય તે માટે સતત રજૂઆત કરવામાં આવી રહી છે. આ રજૂઆતના ફળ સ્વરૂપે આગામી સમયમાં ઉત્તર ગુજરાતને મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેન સેવાની ભેટ મળવાની આશા જીવંત બની છે.
ઉત્તર ગુજરાત અને મહેસાણાના અનેક લોકો સુરત અને મુંબઈ ખાતે વસવાટ કરે છે. મુંબઈ અને સુરત ખાતે વસવાટ કરતા ઉત્તર ગુજરાતના નાગરિકોને જ્યારે વતનમાં આવવાનું થાય ત્યારે અથવા તો ધંધાકીય કામકાજ માટે સુરત મુંબઈ જવાનું થાય ત્યારે પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં હોવાને કારણે ખાનગી લક્ઝરી બસનો પરિવહન માટે ઉપયોગ કરવો પડે છે.
પાછલા વર્ષોમાં મહેસાણા પાલનપુર ડીસા ભીલડી જેવા વિસ્તારોમાં ઔધોગિક વિકાસ તેજ ગતિએ થયો છે. પરંતુ જેટલા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયો તેટલા પ્રમાણમાં ટ્રેન રૂટની સંખ્યા નથી વધી. પૂરતી ટ્રેન ઉપલબ્ધ નહિ હોવાને કારણે ડીસા ભીલડી પાલનપુર મહેસાણા જેવા વિસ્તારમાંથી જ્યારે પણ નાગરિકોને વલસાડ સુરત કે મુંબઈ જવાનું થાય ત્યારે ખાનગી લક્ઝરી બસનો સહારો લેવો પડે છે.
આ સ્થિતિમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે નાગરિકોની પડતી અગવડનું નિરાકરણ થઈ શકે તે માટે ઉત્તર ગુજરાત થી સુરત અને મુંબઈને જોડતા નવા ટ્રેન રૂટ શરૂ કરવાની સંસદમાં માગણી કરી હતી. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલના સવાલના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદ અને સુરત રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ એક સાથે ઉત્તર ગુજરાતથી સુરત અને મુંબઈને જોડતા અનેક નવા રૂટ શરૂ કરવાનું આયોજન છે.સાથે સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વેસ્ટર્ન રેલવે ફ્રેઈટ કોરિડોરથી અનેક નવી તકો ઊભી થઈ છે. હાલમાં આ કોરિડોરની કામગીરી અંતિમ તબક્કામાં છે.મહારાષ્ટ્રમાં પણ આ કોરિડોર માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.
આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે મહેસાણા રેલ્વે સ્ટેશન ને જોડતી વલસાડ વડનગર ટ્રેન એક સફળ મોડલ ટ્રેન રૂટ સાબિત થયો છે. આ ટ્રેન દક્ષિણ ગુજરાત તરફ જતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.હાલમાં પાલનપુર ભીલડી ડીસા અને મહેસાણા થી અનેક લોકો મુંબઈ અને દક્ષિણ ગુજરાત તરફ રોજ પરિવહન કરે છે.પરંતુ આ લોકો યોગ્ય રીતે પરિવહન કરી શકે તે માટે પૂરતા ટ્રેન રુટ શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી. જે માગણીનો કેન્દ્રીય રેલવે મંત્રીએ હકારાત્મક પતિસાદ આપ્યો છે.

